હિંદુ ધર્મમાં અઠવાડિયાના કેટલાક દિવસોને વાળ- દાઢી, નખ કાપવા માટે શુભ અને કેટલાક અશુભ માનવામાં આવ્યા છે. અશુભ દિવસોમાં વાળ- નખ કે દાઢી કપાવવાથી ધન હાનિ થાય છે, સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. બીજી તરફ, શુભ દિવસોમાં વાળ અને દાઢી કપાવવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે.
ધન લાભ થાય છે. તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને સન્માન મળશે. ચાલો જાણીએ કે અઠવાડિયાના દરેક દિવસે વાળ અને દાઢી કપાવવાથી શું પરિણામ આવે છે અને તેની જીવન પર કેવી અસર પડે છે.
અઠવાડિયાના કયા દિવસે વાળ અને દાઢી કાપવાથી તેની શું અસર થાય છે – સોમવારઃ સોમવારનો સંબંધ ચંદ્ર સાથે છે. આ દિવસે વાળ કે દાઢી ક્યારેય ના કાપવા જોઈએ. નહીંતર તેની અશુભ અસર આરોગ્ય, મન, શિક્ષણ અને બાળકો પર પડે છે. આ દિવસે નખ પણ ના કાપવા જોઈએ.
મંગળવારઃ સામાન્ય રીતે ઘણા લોકો મંગળવારે તેમના વાળ અને દાઢી નથી કપાવતા. હિંદુ ધર્મમાં મંગળવારના દિવસે વાળ કાપવા કે મુંડન કરવાનું વર્જિત/મનાઈ હોવાનું કહેવાય છે. આ દિવસે વાળ- નખ કાપવાથી કે દાઢી કપાવવાથી ઉંમર ઘટે છે. લોહી સંબંધિત રોગો થાય છે.
બુધવારઃ બુધવારે નખ અને વાળ કાપવા ખૂબ જ શુભ હોય છે. તેવું કરવાથી ઘરમાં બરકત આવે છે. વેપારમાં નફો થાય. ધન લાભ થતો હોય છે. નોકરીમાં પ્રગતિ થાય છે.
ગુરુવાર: ગુરુવારે વાળ- નખ ના કાપવા જોઈએ, દાઢી ના કરવી જોઈએ. તેવું કરવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ શકે છે. દુર્ભાગ્ય આવે છે. વિવાહિત જીવનમાં સમસ્યા થતી હોય છે.
શુક્રવારઃ શુક્રવારના દિવસે વાળ કપાવવા, હજામત કરવી કે નખ કાપવા ખૂબ જ શુભ હોય છે. તેવું કરવાથી જીવનમાં કીર્તિ અને ધનની વૃદ્ધિ થાય છે. સુંદરતા વધે છે. જીવનમાં પ્રેમ અને રોમાન્સ વધે છે. માતા લક્ષ્મીની કૃપા રહે છે.
શનિવારઃ વાળ- દાઢી, નખનો સંબંધ શનિદેવ સાથે હોય છે અને શનિવારે નખ કાપવાથી શનિદેવ ક્રોધિત થતા હોય છે. શનિવારે વાળ અને નખ કાપવાથી ધન હાનિ અને બીમારીઓ થાય છે.
રવિવારઃ રવિવારની રજા હોવાને કારણે મોટાભાગના લોકો આ દિવસે તેમના વાળ અને દાઢી મુંડાવે છે, પરંતુ તેવું કરવું યોગ્ય નથી. તેમ કરવાથી યાદશક્તિ ઓછી થાય છે. આત્મવિશ્વાસ ઘટે છે. કાર્યોમાં નિષ્ફળતા મળે. ધન હાનિ થાય છે.
આ સિવાય અમાવસ્યા, એકાદશી અને સૂર્યગ્રહણ- ચંદ્રગ્રહણ પર પણ વાળ ના કપાવવા જોઈએ. તેમ કરવાથી ઘણું નુકસાન થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)